બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન
આછવણી, તા. 28 જૂન 2026:
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણી ખાતે ઉપશિક્ષક શ્રી જયેશકુમાર ગમનલાલ પટેલના સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ યોજાયો.
શ્રી જયેશકુમાર પટેલે શિક્ષણ ક્ષેત્રે કુલ 35 વર્ષ, 8 મહિના અને 17 દિવસ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તેમણે તા. 14 સપ્ટેમ્બર, 1990ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની ઢોકળવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2000માં જિલ્લાફેર બદલીથી નવસારી જિલ્લાના બંધાડ ફ. પ્રાથમિક શાળા, આછવણીમાં જોડાઈ સતત 25 વર્ષ, 11 મહિના અને 12 દિવસ સુધી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્ય કર્યું.
શ્રી પટેલે વર્ષ 2014થી 2021 દરમિયાન આચાર્ય તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. ઉપરાંત 2016થી 2019 દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી શિક્ષકોના હિત માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
સાદગી, મૃદુભાષી સ્વભાવ, નિયમિતતા અને કર્મનિષ્ઠા માટે જાણીતા શ્રી પટેલ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા ગ્રામજનોમાં ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. શિક્ષણને સેવા અને કર્મને પૂજા માની તેમણે અનેક વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
નિવૃત્તિ પ્રસંગે શાળા પરિવાર, સહકર્મી શિક્ષકો, ગ્રામજનો, વાલીઓ અને શુભેચ્છકોએ શ્રી જયેશકુમાર પટેલને શાલ, પુષ્પગુચ્છ અને સન્માનપત્ર અર્પણ કરી તેમના દીર્ઘ, સ્વસ્થ અને સુખમય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળા પરિવારે આશા વ્યક્ત કરી કે શ્રી જયેશકુમાર પટેલ નિવૃત્તિ પછી પણ સમાજસેવા અને માનવકલ્યાણના કાર્યો દ્વારા પોતાના અનુભવનો લાભ સમાજને આપતા રહેશે. તેમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય માટે સૌએ શુભકામનાઓ વ્યક્ત કરી હતી.




