શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ.
નવસારી, તા. 23: ગુજરાત સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લાની A+++ ગ્રેડ ધરાવતી પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા ખાતે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સચિવાલય ગાંધીનગરના આઈએએસ અધિકારી શ્રીમતી આદ્રા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમતી આદ્રા અગ્રવાલે પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા, રમણ બ્રધર્સ વિદ્યાલય અને જામલાપોર કન્યા શાળા એમ ત્રણ શાળાઓમાં કુલ ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને નવા પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધી દેશના દરેક બાળકને ધોરણ-૧૨ સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. “ઝીરો ડ્રોપ-આઉટ”ના લક્ષ્યને હાંસલ કરવા શિક્ષણ વિભાગ સતત પ્રયાસશીલ છે.
પ્રવેશોત્સવ દરમિયાન બાળવાડી (બાલવાટિકા)થી લઈને ધોરણ-૧૧ સુધીના વિદ્યાર્થીઓને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા. સિસોદ્રા ગણેશવડ કન્યાશાળામાં આંગણવાડીના ૭, બાલવાટિકાના ૩૦ અને ધોરણ-૧ના ૩૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓને કંકુ તિલક, મોં મીઠું કરાવી તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરીને આવકારવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય શાળાઓમાંથી આવેલા ધોરણ ૨થી ૮ના વિદ્યાર્થીઓને પણ નવા પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના હાથે તૈયાર કરેલા હેન્ડમેડ ગ્રીટિંગ કાર્ડ્સ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સર્જનાત્મકતાની પ્રશંસા કરતાં શ્રીમતી આદ્રા અગ્રવાલે શિક્ષકોને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે નાયબ કલેક્ટર શ્રી શિવરાજસિંહ ખુમાણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.






