પાણીખડક પ્રાથમિક શાળામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો રાત્રિવિશ્રામ, વિદ્યાર્થીઓ સાથે કર્યો યોગ અને પ્રાણાયામ
પાણીખડક, નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતના રાજ્યપાલશ્રી Acharya Devvrat અને મુખ્યમંત્રીશ્રી Bhupendra Patelએ સાદગીપૂર્ણ રીતે સામાન્ય વર્ગખંડમાં રાત્રિવિશ્રામ કર્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
વહેલી સવારે રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગ તથા પ્રાણાયામનું વિશેષ સત્ર યોજ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગાસનો તેમજ કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી પ્રાણાયામનો પ્રાયોગિક અભ્યાસ કર્યો હતો. સાથે જ યોગ અને પ્રાણાયામના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસ શરીરને નિરોગી રાખે છે, મનને એકાગ્ર બનાવે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં યોગ અને પ્રાણાયામનું વિશેષ મહત્વ છે. તેમણે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવા, શિસ્તબદ્ધ જીવન જીવવા અને મહેનત દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમના અભ્યાસ, દૈનિક જીવન અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર યોગ સત્ર પવિત્ર ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે સંપન્ન થયું હતું.
રાજ્યના સર્વોચ્ચ હોદ્દા પર રહેલા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના આ સાદગીભર્યા અને પ્રેરણાદાયી અભિગમે ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું.






