મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીની સાદગી: ખેરગામના ખેડૂત પરિવાર સાથે લીધું રાત્રિભોજન.
નવસારી, તા. 19 જૂન: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાદગી, નમ્રતા અને જનસંપર્કનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામે સામાન્ય ખેડૂત પરિવાર સાથે રાત્રિભોજન લીધું હતું.
પ્રોટોકોલની ઔપચારિકતાઓને બાજુ પર મૂકી બંને મહાનુભાવો પાણીખડક ગામના પટેલ ફળિયામાં રહેતા ખેડૂત શ્રી જિતેન્દ્રભાઈ ચુનીલાલ દેસાઈના લીંપણવાળા ઘરમાં પહોંચ્યા હતા. લીલાછમ ખેતરો અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલા આ નાનકડા ઘરમાં દેસાઈ પરિવારના સભ્યો સાથે આત્મીયતાભર્યો સમય વિતાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીએ કાંસાની થાળી-વાટકામાં પીરસાયેલા દેશી નાગલી-ચોખાના રોટલા, ખીચડી, કઢી અને મિક્સ શાક સહિતના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો. પરિવારની એક વર્ષની દીકરી ક્રિન્સી અને અગિયાર વર્ષની નિક્કીના હરખભર્યા સ્વાગતે સમગ્ર વાતાવરણને વધુ ઉષ્માભર્યું બનાવ્યું હતું.
આ અવસરે બંને મહાનુભાવોએ સંદેશ આપ્યો કે સાચી મહાનતા અને ભવ્યતા પદ, પ્રતિષ્ઠા કે ભપકામાં નહીં, પરંતુ સાદગી, નમ્રતા અને લોકો સાથેના આત્મીય સંબંધોમાં રહેલી છે. તેમણે જણાવ્યું કે જેમ ફળોથી લદાયેલું વૃક્ષ નમી જાય છે, તેમ જવાબદારી અને સત્તા સાથે નમ્રતા જળવાઈ રહેવી જોઈએ.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ તથા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય ખેડૂત પરિવારના ઘરે જઈ ભોજન સ્વીકારી રાજ્યના વડાઓએ ગ્રામ્ય જીવન, ખેડૂત સમાજ અને લોકસંપર્ક પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ ઘટના પાણીખડક ગામ સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી અને જનમાનસમાં સાદગી તથા સેવાભાવનો પ્રેરણાદાયી સંદેશ પહોંચાડ્યો હતો.





