તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓના નવા ચાર્જ – રાજ્યવ્યાપી ફેરફારનો કચેરી આદેશ જાહેર
તારીખ: ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫
સ્થળ: ગાંધીનગર
સ્ત્રોત: પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, વિદ્યા સમિક્ષા કેન્દ્ર, પૂનિતવન સામે, સેક્ટર-૧૯, ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (તા.પ્રા.શિ.)ની ખાલી રહેલ જગ્યાઓ પર તાત્કાલિક વ્યવસ્થા તરીકે નવા વધારાના હવાલા સોંપવાના આદેશો જાહેર કર્યા છે. આ આદેશ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના મંજુર આધારે તા. ૧૪/૧૦/૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગના અને અત્રેની કચેરીના અગાઉના સંદર્ભો આધારે, વિવિધ જિલ્લાઓના મુખ્ય શિક્ષકો અને કેળવણી નિરીક્ષકોને તેમના હાલના ફરજસ્થળ સિવાય વધારાની જવાબદારી તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આ આદેશ મુજબ અમદાવાદ, નવસારી, બોટાદ, જુનાગઢ, તાપી, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર સહિત અનેક જિલ્લાઓના તાલુકાઓમાં નવા ચાર્જ આપાયા છે.
જેમાં નવસારી જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઓનો વધારાનો હવાલો સોંપાયો છે.
(૧) શ્રી ફુલચંદ આર ભગતાણી
મુખ્ય શિક્ષક, જમાલપોર પ્રા.શાળા તા-નવસારી, જિ-નવસારી
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તા-નવસારી, જિ-નવસારી
(૨) શ્રી યોગેશકુમાર કે. ટંડેલ
મુખ્ય શિક્ષક, કાળાકાછા પ્રા.શાળા તા-જલાલપોર, જિ-નવસારી
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તા-જલાલપોર, જિ-નવસારી
(૩) શ્રી રાજુભાઇ એ પટેલ
મુખ્ય શિક્ષક, રાનકુવા પ્રા.શાળા તા-ચીખલી, જિ-નવસારી
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તા-ચીખલી, જિ-નવસારી
આ સાથે અગાઉ જિલ્લા કક્ષાએ સોંપાયેલા ચાર્જ આપોઆપ રદ ગણાશે.
શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ, નવા અસ્તિત્વમાં આવેલા ૨૩ તાલુકાઓમાં તાત્કાલિક વધારાનો ચાર્જ સોંપનારને ચાર્જ અલાઉન્સ મળવાપાત્ર નહીં રહે અને ભવિષ્યમાં આ અંગે કોઈ હક્ક દાવો કરી શકાશે નહીં.
કચેરીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓને સૂચના આપી છે કે ભવિષ્યમાં જો કોઈ તા.પ્રા.શિ.ની જગ્યા બદલી, નિવૃત્તિ અથવા અન્ય કારણસર ખાલી થાય, તો તેની તાત્કાલિક દરખાસ્ત ગાંધીનગર કચેરીમાં મોકલવી ફરજિયાત રહેશે.
આ આદેશ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના પ્રશાસનને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને ખાલી જગ્યાઓને તાત્કાલિક પુરાય તે હેતુસર અમલમાં મૂકાયો છે.