Gandhinagar : ચિત્રકૂટ એવોર્ડ ૨૦૨૪ માટે પાત્રતા અને અરજીની પ્રક્રિયા
દર વર્ષે ચિત્રકૂટધામ તલગાજરડા, તા.મહુવા, જિ.ભાવનગર ખાતે પૂજય મોરારીબાપુના હસ્તે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શાળા અને બાળકોના સર્વાંગી વિકાસ અર્થે સમર્પિત ભાવના સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતા શિક્ષકોને 'ચિત્રકૂટ એવોર્ડ'થી સન્માનવામાં આવે છે.
આ એવોર્ડ પૂજય મોરારીબાપુ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં એટલે કે ૩૩ જિલ્લામાંથી ૩૩ શિક્ષકોને તથા ૧ નગરપાલિકા/મહાનગરપાલિકાના શિક્ષકને એમ કુલ ૩૪ એવોર્ડ આપવામાં આવે છે. ચાલુ વર્ષ-૨૦૨૪નો ચિત્રકૂટ એવોર્ડ જાન્યુઆરી-૨૦૨૫માં આપવામાં આવનાર છે.
દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નિયત ફોર્મમાં વધુમાં વધુ ૩ (ત્રણ) ફાઈલ ફરજીયાત પ્રમુખ-મહામંત્રીના સહી-સિક્કા અને ભલામણ સાથે ગુ.રા.પ્રા.શિ.સંઘના કાર્યાલય 'ચાણક્ય' ગાંધીનગર ખાતે મોડામાં મોડી તા. ૧૦/૧૨/૨૦૨૪ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.
નોંધ :- જે જિલ્લામાંથી ત્રણથી ઓછી ફાઈલ હશે તે જિલ્લામાંથી રાજ્ય સંઘ ડાયરેક્ટ ખૂટતી ફાઈલ મંગાવશે જેની નોંધ લેશો.
આ એવોર્ડ મેળવવા માટે નીચેની બાબતો ધ્યાને લેવી.
• આ એવોર્ડ માટે શિક્ષકની ઓછામાં ઓછી ૧૫ વર્ષની નોકરી ધ્યાને લેવાની રહેશે. (રાજય કે રાષ્ટ્રિય એવોર્ડ પ્રાપ્ત કરેલ તથા રાજય/જિલ્લા કે તાલુકા સંઘના હોદ્દેદારશ્રીઓએ એવોર્ડ માટે દરખાસ્ત કરવી નહીં.) આ એવોર્ડ માટે રાજય સંઘ દ્વારા નિયત કરેલ ફોર્મની પીડીએફ ફાઈલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ-મહામંત્રી તથા રાજ્ય હોદ્દેદારોને આપવામાં આવેલ છે. જે તેમની પાસેથી મેળવી પ્રિન્ટ કઢાવી લેવા વિનંતી ફાઈલમાં શૈક્ષણિક લાયકાતના બિનજરૂરી પ્રમાણપત્રો-ગુણપત્રકો મૂકવા નહીં.
• શાળાની દૈનિક પ્રવૃત્તિઓની બિનજરૂરી નોંધ સામેલ રાખવી નહીં. જિલ્લા અને રાજ્ય કક્ષાના પ્રમાણપત્રો જ સામેલ રાખવા.
• તાલુકા-જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ કરેલી કામગીરીના આધારો જ રજૂ કરવા. શાળાના ફોટાઓ કે પ્રમાણપત્રોમાં ઉમેદવારનું નામ કે હાજરી હોય તેવી બાબતો જ સામેલ રાખવી. આ કામગીરી સાથે પુરક ન હોય તેવી બાબતો-કાવ્યો, લખાણ મૂકવાં નહીં.
• શાળામાં, શાળા બહાર શિક્ષણને ઉપકારક કરેલાં કાર્યો, સંશોધનો, લેખનો, શિબિરો વિગેરેના જ આધારો રજૂ કરવા.
• સ્થાનિક તાલીમો લીધી હોય તેવા દાખલા-પ્રમાણપત્રો મૂકવા નહીં. શિક્ષક પ્રોફાઈલમાં જી.પી.એફ., પાનકાર્ડ, આધારકાર્ડ, બ્લડ ગૃપ, બેન્ક એકાઉન્ટ વિગેરે જેવી બિનજરૂરી વિગતો દર્શાવવી નહીં.