ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન.
ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર તથા નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન – 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ધરમપુર તાલુકાની નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. વિરેન્દ્ર ગરાસિયા શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી. પદવી પણ ધરાવે છે અને શિક્ષણની સાથે- સાથે સામાજિક ઉત્થાન માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ કાકડવેરી તથા નાની ઢોલડુંગરી ખાતે **“સાકાર વાંચન કુટિર લાઇબ્રેરી”**નું સંચાલન કરે છે, જ્યાંથી કાકડવેરી લાઇબ્રેરીમાંથી ૧૧ તથા નાની ઢોલડુંગરીમાંથી ૧૧ વિદ્યાર્થીઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી ચૂક્યા છે.
આ ઉપરાંત તેઓ રેમ્બો વોરિયર્સ ના સક્રિય સભ્ય પણ હોય વર્ષમાં ત્રણ થી ચાર બ્લડ ડોનેશન કેમ્પોનું અવાર નવાર આયોજન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા રહે છે. તેમની આ તમામ શાળા બહારની વ્યક્તિગત ઉપલબ્ધિઓ પ્રશંસનીય છે. તેમને વિશ્વવંદનીય પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
આ ભવ્ય સારસ્વત સન્માન કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્યના ૧૫,૦૦૦થી વધુ પ્રતિભાશાળી અને પથદર્શક શિક્ષકોને એક જ મંચ પર સન્માનિત કરવાનો અનોખો પ્રયાસ છે. કાર્યક્રમના પ્રથમ તબક્કામાં કુલ ૨૫૨૫ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચિત્રકૂટ એવોર્ડ
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) તથા રાષ્ટ્રીય પાઠ્યક્રમ માળખા (NCF) પર આધારિત માર્ગદર્શિકાઓને અનુરૂપ શિક્ષણક્ષેત્રમાં ગુણવત્તા, નવીનતા, સર્વાંગી વિકાસ અને **‘લર્નિંગ વિથ જોય’**ના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો છે. માનનીય પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. જે નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળાનું તથા ખેરગામ તાલુકાનું ગૌરવ છે.






