કાછલ કોલેજમાં આદિવાસી લોકસાહિત્ય પર રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો.
મહુવા (સુરત), તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬: મહુવા તાલુકાના કાછલ ખાતે આવેલી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં ગુજરાતી વિભાગ અને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG), અમદાવાદના રિસર્ચ એન્ડ ઇનોવેશન પ્રકલ્પના સહયોગથી ‘આદિવાસી લોકસાહિત્ય વિમર્શ’ વિષય પર એકદિવસીય રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો હેતુ દક્ષિણ ગુજરાતની આદિવાસી લોકપરંપરા, લોકસાહિત્ય, સંગીત અને સાંસ્કૃતિક વારસાને શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં સમજવાનો તથા વિદ્યાર્થીઓમાં આ વિષયના અભ્યાસ અને સંશોધન અંગે રસ જગાવવાનો હતો.
સેમિનારમાં શ્રી ડાહ્યાભાઈ વાઢુએ ‘ડાંગી રામકથા’ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે ડાંગી લોકપરંપરામાં રામકથાના સ્વરૂપ, તેની મૌખિક પરંપરા અને ગાયકી સાથે જોડાયેલા વિવિધ પાસાઓ અંગે માહિતી આપી હતી.
ડૉ. વિક્રમ ચૌધરીએ ‘દક્ષિણ ગુજરાતનું આદિવાસી લોકસાહિત્ય’ વિષય પર રજૂઆત કરી હતી. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો તથા પ્રેઝન્ટેશન દ્વારા તેમણે આદિવાસી લોકસાહિત્ય અને સંગીતની વિશિષ્ટતાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી.
કાર્યક્રમમાં પ્રા. ડૉ. પ્રવીણ સલિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. રાકેશ યુ. ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા લોકસાહિત્યના અભ્યાસ અને સંશોધનની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સેમિનારનું સંચાલન પ્રા. ડૉ. આશા ઠાકોરે કર્યું હતું, જ્યારે પ્રા. ડૉ. ધનસુખ પટેલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેમિનાર દરમિયાન આદિવાસી લોકસાહિત્યને સ્થાનિક સમાજની જીવનશૈલી, માન્યતાઓ, પરંપરાઓ અને સાંસ્કૃતિક સ્મૃતિ સાથે જોડીને સમજાવવામાં આવ્યું હતું. આવા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા લોકવારસાના દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.





