Khergam: ગુણોત્સવ 2.0 અંતર્ગત ખેરગામના 62 આચાર્યો માટે માર્ગદર્શક તાલીમ યોજાઈ.
શાળાના સ્વ-મૂલ્યાંકન તથા GSQAC-SQAAF પોર્ટલ પર ડેટા અપલોડિંગ અંગે અપાયું માર્ગદર્શન
ખેરગામ, તા. 11 ઓગસ્ટ, 2026: જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરુણકુમાર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ‘ગુણોત્સવ 2.0’ અંતર્ગત શાળાના સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
તાલુકા શિક્ષણાધિકારી કચેરી, ખેરગામ તથા BRC ભવન, ખેરગામના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં ગણદેવી તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ ખાનગી તેમજ આશ્રમશાળાના 62 આચાર્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન શાળાઓના સ્વ-મૂલ્યાંકનને વધુ અસરકારક અને ગુણવત્તાસભર બનાવવા અંગે આચાર્યોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત GSQAC-SQAAF પોર્ટલ પર શાળાકીય માહિતી તથા જરૂરી ડેટા અપલોડ કરવાની ટેકનિકલ પ્રક્રિયા અંગે તબક્કાવાર સમજ આપવામાં આવી હતી.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર તેમજ BRC શ્રી વિજયભાઈ પટેલ દ્વારા શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારણા, સ્વ-મૂલ્યાંકનની પ્રક્રિયા તથા શાળાના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આચાર્યોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમમાં તજજ્ઞ તરીકે હર્ષવીબેન પટેલ (અંભેટા પ્રાથમિક શાળા), જિજ્ઞાસાબેન પટેલ (ઊંડાચ વાણિયા ફળિયા પ્રાથમિક શાળા) તથા શિવાલીબેન પટેલ (દેવધા પ્રાથમિક શાળા)એ સેવા આપી હતી. તજજ્ઞોએ સ્વ-મૂલ્યાંકન તથા GSQAC-SQAAF પોર્ટલ સંબંધિત વિવિધ ટેકનિકલ અને પ્રક્રિયાત્મક બાબતો સરળતાથી સમજાવી આચાર્યોની વિવિધ મૂંઝવણોનું નિરાકરણ કર્યું હતું.
કાર્યક્રમના અંતે ખાસ ‘ડાઉટ ક્લિયરિંગ સેશન’ યોજવામાં આવ્યું હતું. જેમાં આચાર્યો દ્વારા સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા તથા પોર્ટલ પર ડેટા એન્ટ્રી અને અપલોડિંગ અંગે પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ આપવામાં આવ્યા હતા.
BRC ભવન, ખેરગામ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, તાલીમાર્થી આચાર્યો તથા તમામ સહયોગીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા આચાર્યોની ઉપસ્થિતિમાં યોજાયેલ સમગ્ર તાલીમ કાર્યક્રમ ગુણવત્તાસભર શિક્ષણ, અસરકારક સ્વ-મૂલ્યાંકન અને શાળાના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સમગ્ર તાલીમ કાર્યક્રમનું અહેવાલ લેખન તથા સંકલન BRC ખેરગામ દ્વારા કરવામાં આવ્યું હતું.





