નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક’ પ્રમાણપત્રથી સન્માન.
ખેરગામ: નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન છગનભાઈ પટેલને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને સમર્પણ બદલ ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.
80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી વિજયભાઈ સી. પટેલના હસ્તે અક્ષિતાબેન પટેલને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા તથા વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.
અક્ષિતાબેન પટેલની આ સિદ્ધિથી નાંધઈ પ્રાથમિક શાળા તેમજ સમગ્ર ખેરગામ તાલુકાનું ગૌરવ વધ્યું છે. શિક્ષણ પ્રત્યેની તેમની નિષ્ઠા અને વિદ્યાર્થીઓના વિકાસ માટેની સતત મહેનત અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.
આ સિદ્ધિ બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર, બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, સી.આર.સી.શ્રી, નાંધઈ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, ગ્રામજનો તથા શાળા પરિવાર દ્વારા અક્ષિતાબેન પટેલને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

